Spread the love

પ્રિય વડાપ્રધાનજી,

ચિતાઓ જયારે રાત-દિવસ સળગી રહી છે, જાણે કે ભારતની આશાઓ સળગી રહી હોય અને લોકો હોસ્પિટલની લોબીમાં એક એક શ્વાસ માટે તરફડિયા મારી રહ્યા હોય, ત્યારે સમય છે કે આપણે નેપોલિયન બોનાપાર્ટના શબ્દ યાદ કરીએ, ‘એક નેતા આશાનો સોદાગર હોય છે’ ભારતે જયારે તમને બીજી વખત ચૂંટી કાઢયા, ૧૩૦ કરોડ દેશવાસીઓને વિશ્વાસ હતો કે તમે નવા ભારતની શ્રેષ્ઠ આશા છો. તમે અર્થતંત્ર ઉદાર બનાવવા , બ્યુરોક્રેસી પર લગામ કસવા, લઘુમતી તુષ્ટિકરણને લઘુત્તમ કરવા અને સમાન કર વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના શપથ લીધા હતા. તમારો સિદ્ધાંત હતો, ‘કામ ને બોલવા દો, નેતાને નહી’,

સાત વર્ષ પછી બ્રાન્ડ મોદી ઓક્સિજન પર છે. મહામારીને સાચવવાની સરકારની ક્ષમતા પર ઉઠી રહેલા સવાલ પર તમારા મૌનથી તમારા પ્રશંસકો નિરાશ છે. ગુજરાતના મુખ્યમંત્રી બન્યાના કેટલાક મહિના પછી તમારી નવી અને વ્યવહારિક રીતોએ ભયાનક ભૂકંપ પછી રાજ્યને ઝડપથી પાટે ચડાવ્યું હતું. કોવિડ-૧૯ની પ્રથમ લહેર પછી બીજા દેશોની તુલનામાં વાઇરસને ઝડપથી કાબુમાં લેવાના મુદ્દે તમારી પ્રશંસા થઈ હતી. સ્વદેશી નિર્માતાઓને વેક્સિન શોધવા અને ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા માટે તમારા વખાણ થયા હતા. પછી તાજેતરમાં તમે કહ્યું, “આપણી સામે અજાણ્યો દુશ્મન છે. છેલ્લા કેટલાક સમયમાં દેશવાસીઓએ જે દુઃખ સહન કર્યું છે, હું પણ એ જ દુઃખ અનુભવી રહ્યો છું.’ તમારે ટીમની આ દુઃખભરેલી ભાવનાઓ પહેલા કેમ જાગી નહી ? નદીઓમાં તરતી લાશો, હોસ્પિટલની બહાર મરતા ભારતીય, ઓક્સિજનની ભીખ માંગતા દર્દી અને જીવનરક્ષક દવાઓની અછતનાં દ્રશ્યોએ આત્માઓને હચમચાવી નાખ્યા છે. દુઃખદ છે કે હવે ખુશામતખોરો દ્વારા ગાવામાં આવી રહેલા સકારાત્મકતાના કર્કશ રાગના સ્થાને નકારાત્મક અવાજો શાંતિ આપી રહ્યા છે.

નેતાની સફળતા તેની ટીમનાં સભ્યો પર નિર્ભર હોય છે. જનતાને લાગે છે કે, તમારી આખી ટીમનો ઉદેશ્ય માત્ર ખુશામતખોરી છે. જેમાં મંત્રી, મુખ્યમંત્રી, સિવિલ સર્વેન્ટ, અને સ્વઘોષિત ઈન્ફ્લૂએન્સર સામેલ છે. જે તમારા સમર્થક હોવાનો દાવો કરે છે, તેઓ સરકાર પર હુમલો કરનારા વિરુદ્ધ ગાળોથી ભરપૂર તીખી નિંદામાં ડૂબેલા રહે છે. તેઓ બાળકૂ અને અભદ્ર વેબસાઈટ તથા સોશિયલ મીડિયા હેન્ડલ બનાવીને તમારો અને તમારા પ્રદર્શનનો બચાવ કરે છે. અત્યારે અમને તમારા પ્રદર્શન અને ગુમાવી દીધેલા પ્રભાવની જરૂર છે. પ્રચારની નહીં. કેન્દ્રએ નક્કામી ‘વેક્સિન મૈત્રી’ શા માટે અપનાવી, જયારે નાગરિકો માટે પૂરતી વેક્સિન ન હતી ? આખરે શા માટે તમારા ખુશામતખોર સલાહકારોએ પૂરતો ઓર્ડર આપ્યો નહીં ? જનતાએ હંમેશા ‘મોદી હૈ તો મુમકિન હૈ’ના નારા પર વિશ્વાસ મુક્યો છે. હવે આરોગ્ય તંત્ર વિખેરાઈ ગયું તો તમારો દુશ્મનોએ નારો આપ્યો છે, ‘જબ તક મોદી હૈ તો મુશ્કિલ હૈ’.

ભારતીયો માટે સૌથી બિહામણું છે ખુદને બચાવવા માટે બીજા પર નિર્ભરતા. તમે અમને ગર્વથી ભરપૂર આત્મનિર્ભર ભારત બનાવવા કહ્યું હતું. જો કે, વિદેશો પાસેથી નાની-મોટી મેડિકલ મદદ લેવાથી આપણું ગર્વ માટીમાં મળી ગયું છે. ભારતીય હવે સંકોચિત અનુભવી રહ્યા છે, જયારે તેઓ સમાચારોમાં પાકિસ્તાન દ્વારા મદદની ઓફર જુએ છે. આ બાજુ મંત્રાલય અને આધિકારિક વિભાગ ખુશામતખોરીમાં વ્યસ્ત હતા. રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં તમારા આગમન પછી ગર્વ પેદા થયો હતો. જો કે, આફત એસિડ જેવી હોય છે, જેમાં બધું જ ઓગળી જાય છે. આવા સમયમાં જે નેતૃત્વના સાહસની પરીક્ષા હોય છે. ભારતને ચિંતા અને સમાધાનની જરૂર છે. સામનાની નહીં. એક નેતાએ નિષ્ફળતાની જવાબદારી માથે લેવી જોઈએ. તમારા ઈરાદા હંમેશા સારા જ રહ્યા છે, પરંતુ લાગે છે કે, ખુશામતખોરો, અવિશ્વસનીય જનસેવકો, તકવાદીઓ, અર્ધ-સાક્ષર વિજ્ઞાનીઓએ અને પોલીસમાં ફરજ બજાવીને દારૂની ખેપ મારતા સરકારી બુટલેગરો જેવાઓએ તંત્રને ખાડામાં નાખી દીધું છે. તેઓ બ્રાન્ડ મોદીને નષ્ટ કરવા માંગે છે.તેઓ હોબાળો મચાવીને તમારી ગેરલાયકાતો છુપાવવા માંગે છે, જયારે કે વાસ્તવિક વ્યવસાયિકોને સત્ય સાથે તમારી સુધી પહોંચવા દેતા નથી. એક દુર્જેય ટુકડી તમારા વિરુદ્ધ કામ કરી રહી છે, પરંતુ જે હજુ પણ તમારામાં આશા જુએ છે, તે વાસ્તવિક આત્મનિરીક્ષણની અપેક્ષા રાખે છે. તમે તેમને તક આપી, જેમણે તમને નિરાશ કર્યા છે. હવે સમય છે કે તેમને સિસ્ટમમાંથી હાંકી કાઢવામાં આવે. બિમાર ભારત હવે મોદી તરફ આશાની નજરે જોઈ રહ્યું છે.